સાફલ્યગાથા તા.૦૧/૦૪/૨૦૧૭
અત્રેના જીલ્લામાં ખાસ કરીને પોશીના, ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં જયારે પણ શરીર સબંધી કોઇ મોટો ગુનો બને જેવા કે ખુન, આત્મહત્યા કરવા માટેનુ દુષ્પ્રેરણ વિ. તથા અકસ્માત મોતનો કોઇ બનાવ બને ત્યારે જેમા મોટા ભાગે સ્ત્રી ભોગબનનાર હોય ત્યારે, આ બનાવમાં ભોગબનનાર પક્ષકારની જાતીના લોકો આરોપી/સામેના પક્ષની જાતીના લોકોના ગામ ઉપર એક જુથ બની હુમલો કરે છે.
આ હુમલા દરમ્યાન તીરકામઠા, પથ્થરો, કુહાડી વિગેરે જેવા હથિયારોનો ઉપયોગ કરી ગામમાં પ્રવેશ કરી ઘરો, છાપરાઓ અને અન્ય સ્થાવર અને જંગમ મિલકતને નુકશાન પહોચાડે છે ખાસ કરીને ઢોર ઢાખર છુટા ક`રી ભગાડી મુકે છે તેમજ કેટલાક કિસ્સાઓમાં લુંટફાટ પણ કરે છે. આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ આ પ્રક્રીયાને એક પ્રથાની જેમ સ્વિકારી લીધેલ છે. આ પ્રથાને ચડોતરુ પ્રથા કહેવામાં આવે છે.
આ પ્રકારે ચડોતરુ થયા બાદ ભોગબનનાર પક્ષ અને આરોપી પક્ષ ના લોકો ભેગા મળી જે તે જગ્યાએ પંચ બેસાડે છે અને આ પંચ માં ચર્ચા વિચારણા થયા બાદ એક પક્ષકરા બીજા પક્ષકાર સાથે આર્થીક લેવડ-દેવડ કરે છે જેને વેર નકકી કર્યુ તેવુ કહેવામાં આવે છે અને વેર નકકી થઇ ગયા બાદ જ કાયદાનો સહારો લેવામાં આવે છે અને આ પ્રક્રીયા પુરી થયા બાદ જ મૃતદેહ ને પોલીસને સોંપવામાં આવે છે અથવા પોલીસને જાણ કરવામાં આવે છે. ત્યા સુધી લાંબો સમય માટે મૃત દેહ જે તે સ્થીતીમાં પડયો રહે છે. મોટા ભાગના કિસ્સાઓમાં અત્યંત ગંભીર ગુનાઓમાં પોલીસને જાણ શુધ્ધા કરવામાં આવતી નથી. આ પરંપરા સદીઓ થી ચાલી આવે છે. ચડોતરા પ્રથા નાબુદ કરવા માટે ખાસ લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ જે લોકદરબારમાં ગામ આગેવાનો, સાધુ સંતો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તથા ચુંટાયેલા સભ્યો તથા મહીલા આગેવાનો ને હાજર રાખી ચડોતરા પ્રથાથી થતા નુકસાન અને ભવિષ્યની અસરો વિશે સમજણ આપવામાં આવેલ છે.
આ બાબતે ચડોતરૂ પ્રથા નાબુદી કમિટીની રચના કરવામાં આવેલ છે. જે અંગે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૨ તથા ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૫૦ કમિટી એમ કુલ-૯૨ કમિટીઓ કાર્યરત છે તેમજ જયારે જયારે આ વિસ્તારમાં આવા પ્રકારનો ગુનો બને કે કમિટીના સભ્યો ધ્વારા ચડોતરુ થવાની સંભાવના વ્યકત કરવામાં આવે ત્યારે અગાઉ થી જ જે તે ગામોમાં પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવી ચડોતરુ અટકાવવા પુરતા પ્રયત્નો કરવામાં આવે છે અને ગુન્હો દાખલ કરવામાં આવે છે.